આપ્તવાણી-૩
By Dada Bhagwan
()
About this ebook
લોકોને જીવનમાં સંખ્યાબંધ ધ્યેયો અને મહત્વાકાંક્ષાઓ હોય છે. છતાં પણ, આપણામાંના મોટા ભાગના લોકો “ હું કોણ છું ?” સવાલનો જવાબ આપવામાં અસમર્થ છે. અનંતકાળથી લોકો જીવનમાં ભૌતિક ચીજો પાછળ પડેલા છે. છતાંપણ, એક ખરા જ્ઞાની પુરુષ આત્મસાક્ષાત્કારનો ખરો રસ્તો બતાવશે અને સંસારિક બંધનોથી મુક્ત થવામાં મદદ કરશે. આ પુસ્તકમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ આત્મા અને તેના ગુણધર્મો અને (આત્માના) પોતાના જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ શું છે? સ્વસત્તા (બહારના સંજોગો પર આધારિત ન હોય) પરસત્તા ( બહારના સંજોગો પર આધારિત ) સ્વપરિણામ (રીલેટીવ સ્વરૂપના જ્ઞાતા દ્રષ્ટા ) અને પરપરિણામ (પોતાને કર્તા જાણીને), વ્યવહાર આત્મા અને નિશ્ચય આત્મા અને બીજા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી છે. પુસ્તકના બીજા ભાગમાં, પરમ પૂજ્ય દાદાશ્રીએ અથડામણ વગર જીવન કેમ જીવવું, રાઇટ બિલીફથી કઈ રીતે દુઃખ નથી રહેતું, અને કુટુંબને લગતા મુદ્દાઓ, જેવા કે છોકરાઓ સાથેનો વ્યવહાર, સામાને સુધારવા કરતાં જાતે સુધરવું, એડજસ્ટમેન્ટ લેવા, રીલેટીવ બાબતમાં ઉપલક રહેવું, કુટુંબના સભ્યોને જુદા જુદા વ્યક્તિઓ સાથે, મહેમાનો સાથે, ઉપરીઓ સાથે, સંબંધોમાં સ્વાભાવિકતા રાખવી વગેરે માટે ચાવીઓ આપી છે. આ પુસ્તકનું વાંચન આપણા જીવનમાં પરમ આનંદ અને શાંતિ મેળવવામાં ઘણું ઉપયોગી થશે.
Related to આપ્તવાણી-૩
Related ebooks
બ્રહ્મચર્ય (સંક્ષિપ્ત) Rating: 3 out of 5 stars3/5આપ્તવાણી-૧૪ ભાગ-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૮ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તસૂત્ર Rating: 3 out of 5 stars3/5પ્રતિક્રમણ (સંક્ષિપ્ત) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૨ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૩ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsદાદા ભગવાન? Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૫-૬ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૭ Rating: 0 out of 5 stars0 ratingsઆત્મ સાક્ષાત્કાર Rating: 0 out of 5 stars0 ratingsસહજતા Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૫ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૧ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૪ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૨ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૪ ભાગ-૩ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૪ Rating: 0 out of 5 stars0 ratingsમૃત્યુ સમયે પહેલાં ને પછી... Rating: 0 out of 5 stars0 ratingsમાનવધર્મ Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) Rating: 5 out of 5 stars5/5આપ્તવાણી-૧૦ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsઆપ્તવાણી-૧૨ (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsક્લેશ વિનાનું જીવન Rating: 0 out of 5 stars0 ratingsઅનુભૂતિનું અવતરણ - Anubhuti nu Avataran Rating: 0 out of 5 stars0 ratingsવાણીનો સિધ્ધાંત (ગ્રંથ) Rating: 0 out of 5 stars0 ratingsબ્રહ્મચર્ય (ઉત્તરાર્ધ) Rating: 0 out of 5 stars0 ratingsસત્ય-અસત્યના રહસ્યો Rating: 0 out of 5 stars0 ratingsસેવા-પરોપકાર Rating: 0 out of 5 stars0 ratings
Reviews for આપ્તવાણી-૩
0 ratings0 reviews
Book preview
આપ્તવાણી-૩ - Dada Bhagwan
www.dadabhagwan.org
દાદા ભગવાન પ્રરૂપિત
આપ્તવાણી શ્રેણી - ૩
સંપાદક : ડૉ. નીરુબહેન અમીન
©All Rights reserved - Deepakbhai Desai
Publisher: Dada Bhagwan Aradhana Trust
સંપાદકીય
અવર્ણનીય, અવક્તવ્ય, નિઃશબ્દ આત્મતત્વનું વર્ણન શી રીતે થાય? એવું ગજું પણ કોનું ? એ તો નિરંતર આત્મરમણતામાં સ્થિત હોય એવા ‘જ્ઞાનીપુરુષ’નું કામ કે જે એમની જ્ઞાનસિદ્ધ સંજ્ઞાથી મુમુક્ષુને આત્મદર્શન કરાવી દે ! પ્રસ્તુત ગ્રંથમા પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના શ્રીમુખેથી સંજ્ઞાભાષામાં નીકળેલી વાણીનું સંકલન કરવામાં આવ્યું છે. પ્રત્યક્ષપણે સાંભળનારને તો તત્ક્ષણ જ આત્મદર્શન સાધે છે. અહીં તે પરોક્ષપણે છે છતાંય એ ભાવનાથી પ્રકાશિત કરવામાં આવે છે કે કેટલાય કાળથી જે તત્વજ્ઞાન સંબંધીના ફોડો અપ્રકટપણે રહ્યા હતા તે આજે પ્રત્યક્ષ ‘જ્ઞાનીપુરુષ’ પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ના યોગે પ્રકટ થાય છે. તેનો લાભ મુમુક્ષુને અવશ્ય થશે જ, પરંતુ પ્રત્યક્ષમાં તો સંપૂર્ણ આત્મજાગૃતિની ઉપલબ્ધિ થાય છે, તે પણ એક કલાકના જ પરમપૂજ્ય ‘દાદા ભગવાન’ના સાંનિધ્યમાં, એ કલ્પનામાં ન આવે એવી વાત આજે સેંકડો આત્માર્થીઓએ અનુભવેલી હકીકત છે !
કેવળ આત્મા વિષે ‘એબ્સોલ્યુટ’ આત્મવિજ્ઞાન વિષે જેમ છે તેમ સમજ તો ‘કેવળ’ સુધી પહોંચેલા ‘એબ્સોલ્યુટ’ આત્મવિજ્ઞાની જ આપી શકે. પ્રસ્તુત ગ્રંથમાં પ્રથમ વિભાગમાં આત્મવિજ્ઞાન અને દ્વિતીય વિભાગમાં વ્યવહાર જ્ઞાનનું સંકલન કરવામાં આવ્યું છે. આત્યંતિક મુક્તિ તો ત્યારે જ સંભવે જયારે આત્મજ્ઞાન અને સંપૂર્ણ આદર્શ વ્યવહાર જ્ઞાન એ બન્ને પાંખોથી ઉડાય. એક પાંખનું ઉડાણ અપૂર્ણ છે. શુદ્ધ વ્યવહારજ્ઞાન વિનાનું આત્મજ્ઞાન એ શુષ્ક જ્ઞાન કહેવાય. શુદ્ધ વ્યવહારજ્ઞાન એટલે ‘‘પોતાના ત્રિકરણે કરીને આ જગતમાં કોઇ પણ જીવને કિંચિત્ માત્ર પણ દુઃખ ન થાય.’’ જયાં યથાર્થ આત્મજ્ઞાન છે ત્યાં પરિણામ સ્વરૂપે શુદ્ધવ્યવહાર હોય જ. પછી એ વ્યવહાર ત્યાગીપણાનો હોય કે ગૃહસ્થીપણાનો, તેની સાથે મુક્તિના સોપાન ચઢવામાં કોઇ હરકત નથી હોતી. માત્ર શુદ્ધ વ્યવહારની જ તેમાં આવશ્યકતા છે. કેવળ આત્માની ગુહ્ય વાતો હોય પણ વ્યવહારમાં રોજની અથડામણોમાં ક્રોધ, માન, માયા, લોભનું સામ્રાજ્ય હોય તે જ્ઞાન વાંઝિયું જ્ઞાન કહેવાય. પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ની જ્ઞાનવાણી સંસારની દરેક મુશ્કેલીઓનો અત્યંત સીધો ને સરળ ઉપાય બતાવે છે કે જે સ્વયં કાર્યકારી થઇ ગૂંચોને સહજપણે ઉકેલી નાખે છે. ઘરમાં, ધંધામાં, નોકરીમાં કે ગમે ત્યાં તાળું વસાઇ જાય ત્યાં એમને એકાદ ચાવી સ્વયં હાજર થઇ જાય છે ને તાળું ઉઘડી જાય છે! પ્રસ્તુત ગ્રંથમાં શક્ય તેટલી ચાવીઓનું સંકલન કરવાના પ્રયત્નો થયા છે. જિજ્ઞાસુઓને એ કાર્યકારી થાય તે અર્થે સુજ્ઞ વાચકો શુદ્ધ ભાવે પોતાની અંદર બિરાજેલા પરમાત્માને પ્રાર્થના કરી પ્રસ્તુત ગ્રંથનું વાચન, મનન કરવું કે સર્વ જ્ઞાનકળા ને બોધકળા પોતાને ઉપલબ્ધ થાય, જે અવશ્ય ફલિત થશે.
સામાન્યપણે ‘જ્ઞાનીપુરુષ’ માટે એવી સમજ હોય છે કે જે કંઇક શાસ્ત્રો સંબંધી વિશેષ જાણે છે. યથાર્થપણે તો તે શાસ્ત્રજ્ઞાની કહેવાય. આત્મજ્ઞાની અને શાસ્ત્રજ્ઞાનીમાં આકાશ-પાતાળનું અંતર છે. શાસ્ત્રજ્ઞાની માર્ગના શોધક કહેવાય. જયારે આત્મજ્ઞાની તો આત્મમંઝિલે પહોંચી ગયેલા હોય અને અનેકને પહોંચાડતા હોય ! સંપૂર્ણ નિર્અહંકારી પદને વરેલા આત્માનુભવી પુરુષ જ ‘જ્ઞાનીપુરુષ’ કહેવાય. આવા ‘જ્ઞાનીપુરુષ’ હજારો વર્ષે એક પાકે. ત્યારે તે કાળને વિષે તેઓ વિશ્વમાં અજોડ હોય. તેમને જ અવતારી પુરુષ ગણાય. ભયંકર કર્મોવાળા કળિમાનવોની મહાપુણ્યૈના ભવ્ય ઉદયે આ કાળમાં એવા ‘જ્ઞાનીપુરુષ’ પરમ પૂજ્ય ‘દાદા ભગવાન’ આપણને સાંપડયા છે ! એ પુણ્યૈને પણ ધન્ય છે !
પ્રકટ પરમાત્માને સ્પર્શીને પ્રકટલી સાક્ષાત સરસ્વતીને પરોક્ષમાં ગ્રંથિત કરવું ને, તે પણ કાળ-નિમિત્ત ને સંયોગને આધીન નીકળેલી વાણીને, તેમ જ સહુ કોઇને હૃદયસ્પર્શી બની રહે તે માટે સંકલન કરવાના પ્રયત્નોમાં જે કાંઇ ખામી હોય તો તે સંકલનના શક્તિની મર્યાદાને કારણે જ સંભવિત છે, જેની ક્ષમા પ્રાર્થના !
ડૉ.નીરુબેન અમીનનાં જય સચ્ચિદાનંદ.
‘દાદા ભગવાન’ કોણ ?
જૂન ૧૯૫૮ની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતાં સુરતનાં સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યા !
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું ! અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ ! શોર્ટકટ !!
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ ?’નો ફોડ પાડતા કહેતાં કે, ‘‘આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદલોકના નાથ છે, એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.’’
આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લિંક
પરમ પૂજ્ય દાદા ભગવાન (દાદાશ્રી) ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. દાદાશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન (નીરુમા)ને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. દાદાશ્રીના દેહવિલય બાદ નીરુમા તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવતા હતા. પૂજ્ય દીપકભાઈ દેસાઈને દાદાશ્રીએ સત્સંગ કરવા માટે સિદ્ધિ આપેલ. નીરુમાની હાજરીમાં તેમના આશીર્વાદથી પૂજ્ય દીપકભાઈ દેશ-વિદેશોમાં ઘણાં ગામો-શહેરોમાં જઈને આત્મજ્ઞાન કરાવી રહ્યા હતા. જે નીરુમાના દેહવિલય બાદ ચાલુ જ રહેશે. આ આત્મજ્ઞાન મેળવ્યા બાદ હજારો મુમુક્ષુઓ સંસારમા_ રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે.
ઉપોદ્ઘાત
ડૉ. નીરુબહેન અમીન.
અનંત કાળથી અનંત લક્ષ વીંધાયા, કિંતુ ‘પોતે કોણ છે’ એ જ લક્ષ ના સધાયું. સાચો માર્ગ જ ‘હું કોણ છું’ની શોધનો છે અગર તો તે રસ્તો ચીંધનારા ય સાચા માર્ગ તરફ કહેવાય. પેપર પર પેઇન્ટ કરેલો દીવો પ્રકાશ ના આપે, માત્ર દીવાની રૂપરેખા જ આપી જાણે. પ્રકાશ તો પ્રત્યક્ષ, પ્રગટ દીવો જ પાથરે ! અર્થાત્ આત્મજ્ઞાનની પ્રાપ્તિ પ્રગટ પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ થકી જ શક્ય છે.
તમામ શાસ્ત્રો એકી અવાજે બોલી ઊઠયાં, ‘આત્મજ્ઞાન જાણો’ પણ રે ! એ શાસ્ત્રમાં નથી સમાયું, એ તો જ્ઞાનીના હૃદયમાં સમાયેલું છે.
અનંત પ્રાકૃત અવસ્થાઓમાં અટવાયેલો નિજછંદે કઇ રીતે તેમાંથી બહાર નીકળી આત્મરૂપ થાય ?! જે જે ક્રિયા કરીને, તપ, જપ, ધ્યાન, યોગ, સામાયિક કરીને સ્થિરતા પ્રાપ્ત કરવા જાય તે તો સ્વભાવે જ ચંચળ છે, તે શી રીતે સ્થિર બને ? ‘દરઅસલ આત્મા’ સ્વભાવથી જ અચળ છે એટલી જ સમજણ ફીટ કરી લેવાની છે !
આત્માની આરાધના જ્ઞાનીની આજ્ઞા વિના થવી અશક્ય છે ! ‘જ્ઞાની’ તો સંજ્ઞાથી સાનમાં સમજાવી દેવાની ક્ષમતા ધરાવે ! જે શબ્દ સ્વરૂપ નથી, જયાં શબ્દની જરૂર નથી, જયાં કોઇ માધ્યમ નથી, જે માત્ર સ્વભાવ સ્વરૂપ છે, કેવળજ્ઞાન સ્વરૂપ છે, એવા આત્માનું અનંત ભેદે આત્મ વિજ્ઞાની એવા ‘જ્ઞાની પુરુષ’ સિવાય કોઇ લક્ષ બેસાડી શકે તેમ નથી.
મરણના ભયને લીધે કોઇ જાતે દવાનું મિક્ષ્ચર બનાવી પીતો નથી. ને અહીં આત્માની બાબતમાં જાતે મિક્ષ્ચર બનાવી અનંત ભવનું મરણ નોંતરે છે ! આ જ સ્વચ્છંદ, બીજુ શું?
આત્મા જ્ઞાનસ્વરૂપ નહીં, વિજ્ઞાન સ્વરૂપ છે. આત્મવિજ્ઞાન જાણે તે ‘એબ્સોલ્યુટ’ આત્મા પામે. ભૌતિક વિજ્ઞાન વરસોનાં વરસો વિતાવડાવે, તો ય કામ ના થાય ને આત્મવિજ્ઞાન તો અંતઃમુહૂર્તમાં પણ ‘એબ્સોલ્યુટ’ બનાવે !
ધાતુઓનાં મિશ્રણનું વિભાજન પ્રત્યેકના ગુણધર્મના જ્ઞાનના આધારે થાય. તેવી જ રીતે આત્મા-અનાત્માના મિશ્રણનું વિભાજન બન્નેના ગુણધર્મ જે જાણે તે જ પુરુષ વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા કરી શકે.
અનાદિથી વિનાશી વસ્તુઓ તરફ વળેલી દ્રષ્ટિને ‘જ્ઞાની પુરુષ’ નિજના અવિનાશી સ્વરૂપ તરફ વાળી આપે જે ફરી ક્યારેય ત્યાંથી વિખૂટી ના પડે ! દ્રષ્ટિફેરથી જ સંસાર ખડો રહ્યો છે ! જ્ઞાનીની દિવ્યાતિદિવ્ય દેણ છે કે તેઓ અંતઃમુહૂર્તમાં આત્મદ્રષ્ટિ કરી આપે, દિવ્ય દ્રષ્ટિ આપે જે સ્વ-પરના આત્મસ્વરૂપને જ ભાળે. દ્રષ્ટિ દ્રષ્ટામાં સ્થિર કરી આપે. પછી પોતાને ખાતરી થાય કે ‘હું શુદ્ધાત્મા છું !’ દ્રષ્ટિ પણ બોલતી થઇ જાય કે ‘હું શુદ્ધાત્મા છું’ બન્નેનો ભેદ તૂટે ને અભેદ થઇ જાય !
દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે ત્યાં સમગ્ર દર્શન ખુલ્લું થાય. દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે, દ્રષ્ટિ સ્વભાવસન્મુખ થાય એટલે પોતાને પોતાના દર અસલ શુદ્ધ સ્વરૂપની પ્રતીતિ થાય, પછી દ્રષ્ટિ ને દ્રષ્ટા ઐક્યભાવમાં આવી જાય ! આત્મદ્રષ્ટિ ત્યાં નિરાકૂળતા, આત્મદ્રષ્ટિથી મોક્ષનાં દ્વાર ખૂલે ! દેહદ્રષ્ટિ, મનોદ્રષ્ટિથી સંસાર સર્જાય.
શુદ્ધ જ્ઞાન કે જે નિરંતર વિનાશી-અવિનાશી વસ્તુઓનું ભેદાંકન કરી યથાર્થ દેખાડે, અને એ જ પરમાત્મા છે !
સંસાર વ્યવહાર ક્રિયાત્મક ને આત્મવ્યવહાર જ્ઞાનાત્મક હોવાને કારણે બન્ને સર્વકાળ ભિન્નપણે જ વર્તે છે. એકની ક્રિયા છે ને બીજાનું જાણપણું છે. કરનારો અહંકાર ને જાણનારો શુદ્ધાત્મા આટલો જ ભેદ જે પામી ગયો તેનો સંસાર આથમી ગયો. જેને એ ભેદ પામવો હોય ને ‘જ્ઞાની પુરુષ’ ના મળ્યા હોય તો ‘હે ભગવાન ! જ્ઞાન તમારું ને ક્રિયા મારી.’ આ પ્રાર્થના મહીંલા ભગવાનને સતત કર્યા કરે, તો ય ભગવાન એક દહાડો તેને ભેગા થયા વગર રહે નહીં !
પોતે આત્મા થયા વિના જ્ઞાતા દ્રષ્ટા શી રીતે કહેવાય ? જયાં સુધી નિજ સ્વરૂપનું ભાન ના થાય, ત્યાં સુધી જ્ઞાતા-દ્રષ્ટાપણું ઇન્દ્રિયજ્ઞાનને આધારે છે, અતીન્દ્રિયજ્ઞાનને આધારે જ યથાર્થ જ્ઞાતા-દ્રષ્ટા પદમાં અવાય.
જ્ઞાન અને આત્મા અભેદસ્વરૂપે છે. મિથ્યાદ્રષ્ટિ ઊઠી સમ્યક્ દ્રષ્ટિ થાય ત્યારે યથાર્થ જ્ઞાનનું સ્વરૂપ સમજાય, જે પછી ‘જ્ઞાની પુરુષ’ના સત્સંગ દ્વારા ફીટ થતાં થતાં જ્ઞાન-દર્શન વધતું વધતું પ્રવર્તનમાં આવે ને કેવળ આત્મપ્રવર્તનમાં આવે, જ્ઞાન-દર્શન સિવાય બીજુ કંઇ જ પ્રવર્તન જયાં નથી, તે કેવળજ્ઞાન.
જગતમાં જે જ્ઞાન ચાલે છે. મંત્ર, જપ, શાસ્ત્રજ્ઞાન, ધ્યાન, યોગ, કુંડલિની,એ બધાં ઇન્દ્રિયજ્ઞાન છે, ભ્રાંતિ જ્ઞાન છે એનાથી સંસારમાં ઠંડક રહે, મોક્ષ તો અતીન્દ્રિયજ્ઞાનથી છે !
શાસ્ત્રજ્ઞાન એટલે શ્રુતજ્ઞાન કે સ્મૃતિજ્ઞાન, આત્મજ્ઞાન નહીં. પુસ્તકમાં કે શબ્દમાં ચેતન નથી, હા સ્વયં પરમાત્મા જયાં પ્રગટ થયા છે એવા જ્ઞાનીની કે તીર્થંકરોની વાણી પરમાત્માને સ્પર્શીને નીકળેલી હોવા કારણે આપણા સૂતેલા ચેતનને જગાડે !
‘સર્વધર્માન્ પરિત્યજય, મામેકં શરણં વ્રજ.’ - દેહના ધર્મો, મનના ધર્મો, વાણીના ધર્મો કે જે પરધર્મ છે, ભયાવહ છે, તે બધાને છોડી એક મારા એટલે કે આત્માના ધર્મમાં આવ. મારા એટલે જે મુરલીવાળા દેખાય છે તેમનાં નહીં, પરંતુ મહીં બેઠેલા પ્રગટ પરમાત્મ સ્વરૂપના શરણે આવવાનું કહ્યું છે !!!
નિજ સ્વરૂપનું અજ્ઞાન એ જ ભ્રાંતિ ને એ જ માયા. ‘પોતે જે નથી’ તેની કલ્પના થાય તેનું નામ ભ્રાંતિ ! જે શબ્દપ્રયોગ નથી, અનુભવપ્રયોગ છે એવા નિજ સ્વરૂપને જાણવાનું છે. મૂળ વાતને સમજવાની છે. સમજણથી જ મોક્ષ છે.
સંયોગોના દબાણથી ભ્રાંતિ ઉત્પન્ન થઇ. ખરેખર આત્માને ભ્રાંતિ નથી, આત્મા ગુનેગાર નથી. અજ્ઞાનતાથી ગુનેગાર ભાસે છે.
સંપૂર્ણ જ્ઞાની છૂપા ના રહે. પોતે જે સુખ પામ્યા તેની જગતને લહાણી કરવા જગતની સાથે જ રહે. મુમુક્ષુ તો ‘જ્ઞાની’ના નેત્ર જોઇને જ પારખી લે.
કોઇ ગાળ ભાંડે, ખિસ્સું કાપે, હાથ કાપે, કાન કાપે તો ય રાગદ્વેષ ના થાય, જયાં અહંકાર ને મમતા નથી ત્યાં ચૈતન્ય સત્તાનો અનુભવ છે એમ સમજાય !
પેરાલીસીસમાં ય આત્મસુખ ના જાય; દુઃખને સુખ કરી આપે તે આત્માનુભવ. ‘હું કોણ છું’નું ભાન થાય ત્યારે આત્માનુભવ થાય.
‘થીયરેટિકલ’ એટલે સમજ અને અનુભવ એ તો ‘પ્રેક્ટિકલ’ વસ્તુ છે. અક્રમમાર્ગે આત્માનુભવ એક કલાકમાં જ થઇ જાય છે !!! નહીં તો એનું કરોડો અવતારે ય લાખ સાધના કર્યાથી ય ઠેકાણું ના પડે !!!
આત્માનું લક્ષ નિરતંર રહે એ જ આત્માસાક્ષાત્કાર. હર્ષ-શોકના ગમ્મે તે સંજોગોમાં હાજર રહી સેફ સાઇડમાં રાખે તેનું નામ જ્ઞાન.
કાંકરાને જે જાણે તે ઘઉંને જાણે.
અસત્ને જે જાણે તે સત્ને જાણે.
અજ્ઞાનને જે જાણે તે જ્ઞાનને જાણે.
આત્માનુભવ કોને થાય છે ?
પહેલાં જેને ‘હું ચંદુલાલ છું’નું ભાન હતું તેને જ હવે ‘હું શુદ્ધાત્મા છું’નું ભાન થાય છે, એને જ આત્માનુભવ થાય છે.
વિચારે કરીને થયેલું જ્ઞાન એ શુદ્ધ આત્મજ્ઞાન ના હોય, વિચાર સ્વયં આવરણકારી છે. આત્મા નિર્વિચાર સ્વરૂપ છે. વિચાર અને આત્મા તદ્ન ભિન્ન છે. આત્માનું સ્વરૂપ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, શબ્દ, વિચારના સ્વરૂપથી ન્યારું છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર એવું જેનું સ્વરૂપ ને પરમાનંદ જેનો સ્વભાવ, એવો આત્મા જાણવાનો છે.
‘ચંદુલાલ’ પ્રયોગ ને ‘શુદ્ધાત્મા’ પોતે પ્રયોગી. પ્રયોગને જ પ્રયોગી માની બેઠાનું પરિણામ ચિંતા, ઉપાધિ !
અજ્ઞાશક્તિથી જગતની અધિકરણ ક્રિયા ચાલે ને પ્રજ્ઞાથી વિરમે. સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પછી પ્રજ્ઞા પ્રગટે ને અજ્ઞા વિદાય લે છે. અજ્ઞા સંસારમાં રઝળાવે, પ્રજ્ઞા મોક્ષને આરે લઇ જાય ! પ્રગટ થયેલી પ્રજ્ઞા નિરંતર આત્મહિત જ દેખાડયા કરે- ચેતવ ચેતવ કરે, ને સંસારનો ઉકેલ લાવી નાખે ! કેવળ પ્રકાશ સ્વરૂપ આત્મા સંસારની બહાર કેમ કરીને નીકળે ? એ તો આત્માનું અંગ સ્વરૂપ પ્રજ્ઞા જ બધું કરી લે ! આત્માની મૂળ કલ્પશક્તિથી અજ્ઞા ઉદ્ભવે જેમાં પછી અહંકાર ભળે એટલે સંસાર નિરાંતે ચાલ્યા કરે ! સંજોગોના જબરજસ્ત દબાણથી સ્વાભાવિક જ્ઞાન-દર્શન વિભાવિક બન્યું. સિદ્ધગતિમાં સંયોગો નથી, સંયોગોનું દબાણ નથી, તેથી ત્યાં વિકલ્પ નથી.
કર્તાપણામાં નિઃશંકતા તે અજ્ઞદશા. કર્તાપણામાં શંકા પડે તે સ્થિતપ્રજ્ઞદશા અને કર્તાપદ જ ઊડી ગયું ત્યાં પ્રજ્ઞા ઉત્પન્ન થાય.
ચિત્ત અને પ્રજ્ઞામાં ફેર કેટલો કે ચિત્ત પહેલાનું જોયેલું જ જોઇ શકે જયારે પ્રજ્ઞા બધું નવું જ જુએ, વિશેષ જાણે. પોતાના દોષને પણ જે દેખાડે તે પ્રજ્ઞા. ચિત્ત બીજું બધું જોઇ શકે, પણ પ્રજ્ઞાને ના જોઇ શકે. જયારે આત્મા તો પ્રજ્ઞાને પણ જોઇ શકે ! પ્રજ્ઞા કેવળજ્ઞાન થતાં સુધી જ શુદ્ધાત્માની સેવા બજાવે.
આત્માનો એક વિકલ્પ ને પુદ્ગલે ગોઠવી દીધી સર્વ બાજી, પરિણામે સંસાર ખડો થયો! આમાં સ્વતંત્ર કર્તા કોઇ નથી. સંજોગોના દબાણથી આ પરિસ્થિતિ સર્જાણી. આ પુદ્ગલ નિરંતર પરિવર્તન થયા જ કરે છે, અવસ્થા સ્વરૂપે ! તત્વ સ્વરૂપે પુદ્ગલ પરમાણુઓ સ્વરૂપે છે જે અવિનાશી છે. પુર + ગલ એટલે પુદ્ગલ. પૂરણ-ગલન થયા જ કરે તે પુદ્ગલ. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પુદ્ગલના મુખ્ય ચાર ગુણો છે. પુદ્ગલમાં જ્ઞાન-દર્શન નથી, લાગણીનો અનુભવે ય નથી, ને ક્ષાયક ભાવ પણ નથી ! જગતમાં સક્રિયતા એકલા પુદ્ગલની જ છે. બાકીનાં તત્વો અક્રિય સ્વભાવે છે. પુદ્ગલની સક્રિયતાને કારણે જ જગતમાં જાતજાતનાં રૂપો દેખાય છે.
જરાક અમથું ઝેર ચેતનને ‘ઓન ધી મોમેન્ટ’ ઘર ખાલી કરાવડાવે છે ! પુદ્ગલની કેટલી બધી શક્તિ !!!
પરમાણુની શુદ્ધ અવસ્થા એટલે વિશ્રસા. સંજોગોના દબાણથી ‘હું ચંદુલાલ, ને મેં આ કર્યું !’ એ અજ્ઞાન ખડું થાય ત્યારે પરમાણુઓનો ચાર્જ પ્રયોગ થાય છે, માટે તે પ્રયોગશા કહેવાયાં. પ્રયોગશા થયા પછી કારણ દેહ બંધાય છે જે આવતે ભવે મિશ્રસા થઇ જાય તે ઠેઠ કડવાં-મીઠાં ફળ આપીને જાય ત્યાં સુધી મિશ્રસા રૂપે રહે છે. ફળ આપતી વખતે પાછો બેભાન અવસ્થામાં નવું ‘ચાર્જ’ કરી નાખે છે ને સાયકલ ચાલ્યા જ કરે છે. લોકો જેને કર્મ ભોગવ્યું. સુખ દુઃખ પરિણામમાં કહે છે, તેને ‘જ્ઞાન’ પરમાણુઓની પરિવર્તિત થતી અવસ્થા સ્વરૂપે ‘જોયા-જાણ્યા’ કરે છે ! તેથી નવો પ્રયોગ થતો નથી, ને તે સાયકલ તૂટે છે !
દેહ જાતજાતના પરમાણુઓથી ખીચોખીચ છે. ઉગ્ર પરમાણુઓના ઉદયમાં તન્મયાકારપણું ક્રોધ જન્માવે, વસ્તુ જોતાં જ આસક્તિના પરમાણુઓ ફૂટતાં તન્મયાકાર થાય ત્યારે લોભ જન્મે. માન મળતાં તન્મયાકાર થઇ મહીં ઠંડક માણે ને તેમાં ‘પોતે’ ભળે ત્યાં અહંકાર જન્મ્યો ! આ બધી અવસ્થાઓમાં ‘પોતે’ નિર્તન્મય રહે તો ક્રોધ, માન, માયા, લોભની હસ્તી જ નથી. ખાલી પરમાણુઓની ઇફેક્ટ જ બાકી રહે છે, જેની નિર્જરા થઇ જાય છે !!
ક્રોધમાં ‘પ્રતિષ્ઠિત આત્મા’ ભળે, ‘બીલિફ આત્મા’ ભળે છે, મૂળ આત્મા ભળતો જ નથી.
પૂરણ-ગલનના વિજ્ઞાનને વધુ સૂક્ષ્મતાએ જ્ઞાની સમજાવે છે કે ખાધું એ લૌકિક ભાષામાં પૂરણ કર્યું કહેવાય, પણ એ પૂરણ ‘ફર્સ્ટ’ ગલન છે અને સંડાસ જવું એ ‘સેકન્ડ ગલન’ છે. અને ખરેખર જે પૂરણ થાય છે તે સૂક્ષ્મ વસ્તુ છે જેને ‘જ્ઞાની’ જ જોઇ શકે, જાણી શકે !
પુદ્ગલમાં પારિણામિક દ્રષ્ટિ ઉત્પન્ન થાય તેને વિષયસુખ ફિક્કાં લાગે. જલેબી ખાધી તેની સવારે શી દશા થશે, દૂધપાકની ઊલટી થયા પછી કેવો લાગે ? એવી પારિણામિક દ્રષ્ટિ રહેવી જોઇએ.
શરીરના પરમાણુઓ, મનના પરમાણુઓ ક્ષણે ક્ષણે બદલાયા જ કરે છે. પરમાણુઓ પરિવર્તનતાને પામે છે છતાં તે વધઘટ થતા નથી.
જેમ દરેક આત્માઓ એક જ સ્વભાવના છે તેમ પરમાણુઓ એક જ સ્વભાવના છે. માત્ર ક્ષેત્રફેરને કારણે ભાવફેર અને ભાવફેરને કારણે બધો ફેરફાર દરેકનો જુદો જુદો લાગે છે, જેના આધારે જગત ખડું છે. પરમાણુઓ જડ તત્વના જ હોય. પરમાણુઓ જડ છે પણ ચેતન ભાવને પામી ચેતનવાળા થઇ જાય છે, જેને મિશ્રચેતન કહેવાય. પરમાણુઓની અવસ્થા શરીરની બહાર હોય ત્યાં સુધી વિશ્રસા, મહીં પેસે ત્યારે પ્રયોગશા ને ફળ આપતી વખતે મિશ્રસા હોય છે.
એક આત્મહેતુ કાજે ગ્રહાયેલા પરમાણુઓ સર્વોચ્ચ હોય છે, જે મોક્ષે જતાં સુધી ચક્રવર્તીની જેવી સગવડો આપે.
પ્રયોગશાની સ્ટેજ હોય ત્યાં સુધી ફેરફાર શક્ય, મિશ્રસા થયા પછી કોઇનું ચલણ ના રહે. બહાર શુદ્ધ સ્વરૂપે રહેલાં પરમાણુઓ સ્વભાવિક વિશ્રસા છે. આત્માના સંયોગમાં આવ્યા પછી વિભાવિક, પ્રયોગશા બની જાય છે. વિભાવિક પુદ્ગલ વિનાશી છે, સ્વભાવિક પુદ્ગલ અવિનાશી છે. વિભાવિક પુદ્ગલ સ્વતંત્ર નથી, ‘વ્યવસ્થિત’ને આધીન છે.
પરમાણુઓ મૂળ સ્વરૂપે કેવળ જ્ઞાનમાં જ દેખાય.
આત્મા અનંત શક્તિવાળો છે તેમ પુદ્ગલે ય અનંત શક્તિવાળું છે. આત્મા આ પુદ્ગલની શક્તિ જાણવા ગયો ને પોતે જ તેમાં બંદીશ બની ગયો ! પુદ્ગલના ધક્કાથી આત્મામાં નૈમિત્તિક કર્તાપણું ઉત્પન્ન થયું છે.
બે સનાતન તત્વો સાથે આવવાથી વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે.
‘હું કરું છું’ એ કર્તાભાવ ને કર્તાભાવ એ જ કર્મ. કર્તાભાવ નથી ત્યાં નથી કર્મ, તેથી નથી પાપ કે પુણ્ય!
દેહ પરમાણુઓનો બનેલો છે. ક્રોધ અને માનના પરમાણુઓનું પ્રમાણ વિશેષ હોવા કારણે પુરુષ દેહ મળે છે ને માયા ને લોભના પરમાણુઓનું પ્રમાણ વિશેષ થાય ત્યારે સ્ત્રીદેહની પ્રાપ્તિ થાય છે. પરમાણુઓના પ્રમાણમાં ફેરફાર થાય તો બીજા ભવમાં લિંગભેદ થઇ જાય, આત્મામાં ભેદ નથી.
સારું-ખોટું વિકલ્પથી દેખાય. નિર્વિકલ્પીને સારું-ખોટું હોય નહીં.
આંખે દેખાય, દૂરબીનથી દેખાય એ બધા સ્થૂળ પરમાણુઓ, મિશ્રસા એ સૂક્ષ્મ, પ્રયોગશા એ સૂક્ષ્મતર ને વિશ્રસા તે સૂક્ષ્મતમ પરમાણુઓ !
પુદ્ગલ પણ સત્ એટલે કે અવિનાશી છે. પુદ્ગલના પણ પર્યાયો છે જે પોતાની પ્રદેશમાં રહીને બદલાય છે, જે વિનાશી છે. પુદ્ગલ પૂરણ-ગલન સ્વભાવનું છે!
આત્મા સિવાયના બધા જ ભાવો પુદ્ગલભાવો છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ક્રોધ, માન, માયા, લોભ એ બધા જ પુદ્ગલભાવો છે. તેને જોયા કરવાનાં. એમાં ભળ્યા તો જોખમદારી આવે, ને ભળ્યા નહીં એટલે છૂટયાં ! પુદ્ગલભાવને જુએ જાણે તે આત્મભાવ. મોઢું બગડી જાય, મન બગડી જાય, બધી અસરો થઇ જાય એટલે પુદ્ગલભાવમાં ભળ્યા કહેવાય.
સ્વસત્તા જાણી નથી ત્યાં સુધી પોતે પરસત્તામાં જ છે. પરસત્તાને સ્વસત્તા માને તે જ અહંકાર.
સત્તાનો સ્હેજ પણ દુરુપયોગ થાય તો સત્તા જાય.
તમામ ક્રિયા ને ક્રિયાવાળું જ્ઞાન, એ બધું જ પરસત્તા છે. જે અક્રિય, જ્ઞાતાદ્રષ્ટા, પરમાનંદી છે, જે ક્રિયાવાળા જ્ઞાનને જાણે છે તે ‘પોતાની’ સ્વસત્તા છે. જેટલો શુદ્ધ ઉપયોગ રહ્યો, તેટલી સ્વસત્તા પ્રગટે. ઘોર અપમાનમાં ય પરસત્તા પોતા પર ચઢી ના બેઠી તેને આત્મા પ્રાપ્ત કર્યો કહેવાય ! એક કલાક સ્વભાવમાં રહી પ્રતિક્રમણ થાય તો સ્વસત્તા અનુભવાય.
કરે છે બીજો ને માને છે ‘હું કરું છું’ તે પરપરિણતિ. ‘વ્યવસ્થિત’ જે જે કરાવે છે, તે વીતરાગભાવે જોયા કરે તે સ્વપરિણતિ. એક ક્ષણ પણ પરપરિણતિમાં ન પ્રવેશે તે જ્ઞાની ! એ જ દેહધારી પરમાત્મા ! સ્વપરિણતિમાં હોય તેને પરપરિણતિ સ્પર્શે જ નહીં.
‘‘જ્ઞાન જયારે ઉપયોગમાં આવે, ત્યારે એ સ્વપરિણતિમાં આવે.’’
જ્ઞાનીની આજ્ઞા, જ્ઞાનીનાં દર્શન સ્વપરિણતિમાં લાવનારાં છે. કિંચિત્માત્ર કોઇનું અવલંબન છે ત્યાં સુધી પરપરિણતિ છે.
‘ડિસ્ચાર્જ’ ભાવને પોતાના ભાવ માને છે તેથી પરપરિણતિમાં જાય છે. ‘ડિસ્ચાર્જ’ ભાવને પોતાના ભાવ ન માને તો તે સ્વપરિણતિમાં છે. એક પણ ‘ડિસ્ચાર્જ’ ભાવને પોતાનો ભાવ નથી માનતા તે ‘જ્ઞાની પુરુષ’!
સ્વપરિણામ ને પરપરિણામ જીવમાત્રને હોય જ. પરપરિણામને સ્વપરિણામ માને અને કરનારો હું ને જાણનારો પણ હું જ એનું નામ અજ્ઞાન.
પુદ્ગલ અને આત્મા બન્ને પરિણામી સ્વભાવના છે, એટલે ક્ષણે ક્ષણે પરિણામ બદલે છતાં પોતાનો સ્વભાવ ક્યારેય કોઇ છોડે નહીં તેવાં છે. પુદ્ગલના પારિણામિક ભાવો એટલે સાંસારિક બાબતોનું જ્ઞાન હાજર થાય ને બટાકા ખવાશે તેનાથી વાયુ થશે. જયારે શુદ્ધાત્માના પારિણામિક ભાવો એટલે જ્ઞાતા-દ્રષ્ટા! ક્રોધ, માન, માયા, લોભ એ પણ પુદ્ગલના પારિણામિક ભાવો છે. પારિણામિક ભાવો કે જેમાં ફેરફાર ક્યારેય ન થઇ શકે. હવે જેને જગત છોડવાનું કહે છે જયારે વીતરાગો ‘પરીક્ષા આપવી’ કહે છે, ‘પરિણામ’ મેળે આવશે.
આત્માનો સ્વભાવ જેવું કલ્પે તેવો તરત જ થઇ જાય, એવો છે. આત્માનો પ્રકાશ બહાર ગયો એટલે અહંકાર ઊભો થઇ ગયો. મૂળ આત્મા ચિંતવે નહીં પણ જેવું ‘અહંકાર’ના આરોપણે ચિંતવે એટલે તેનું જ વિકલ્પ સ્વરૂપે થઇ જાય ! ચિંતવન એટલે વિચાર કરે છે તે નહીં પણ પોતે મનમાં જે આશય નક્કી કરે તે ચિંતવન.
‘હું દુઃખી છું’ ચિંતવતાં દુઃખિયો થઇ જાય ને ‘સુખિયો છું’ કહેતાં જ સુખિયો થઇ જાય, કોઇ ગાંડો ‘હું ડાહ્યો છું’ એવું ચિંતવ્યા કરે તો તે ડાહ્યો થઇ જાય.
‘હું સ્ત્રી છું, આ પુરુષ છે’ એ બીલીફ છે ત્યાં સુધી મોક્ષ નથી. ‘પોતે આત્મા છે’ એમ વર્તે તો જ મોક્ષ છે !
પુદ્ગલ અધોગામી સ્વભાવનું છે, આત્મા ઊર્ધ્વગામી સ્વભાવનો છે. બુદ્ધિશાળીઓના ટચમાં આવવાથી પોતે અધોગામી થાય છે. પરમાણુઓના આવરણ જેમ વિશેષ, તેમ ગતિ નીચી. આત્મા નિરાવરણ થાય ત્યારે મોક્ષે જાય.
આત્મા ગુણધર્મ સહિત જાણે ને તદ્રૂપ પરિણામ પામે તેને જ આત્મજ્ઞાન થાય. અનંતગુણનો ધર્તા આત્મા છે-અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતસુખ, અવ્યાબાધ, અરૂપી, અસંગ, અવિનાશી.........
આત્માનું શુદ્ધત્વ અનંત જ્ઞેયોને જોવા-જાણવા છતાં જતું નથી, અનંતકાળથી !!!
અક્રમજ્ઞાનીનું આ અદ્ભુત વાક્ય જે સંપૂર્ણ સમજી જાય તે તે પદને પામે છે.
‘‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું.’’ - દાદા ભગવાન.
પુદ્ગલ પર્યાય બદલાય તેમ જ્ઞાનપર્યાય બદલાય છે. પર્યાયોના નિરંતર પરિવર્તનોમાં ય જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ, સર્વાંગ શુદ્ધ રહે છે !
જ્ઞાનમાં ભેદ ન હોય. કેવળજ્ઞાન સ્વરૂપી આત્મામાં તો જ્ઞાન, દર્શનના ય ભેદ નથી. ગુણ અને વસ્તુ અભિન્ન ભાવે, અભેદભાવ જ હોય, જયારે શબ્દમાં કહેવા જતાં ભેદ ભાસે!
અવસ્થાનું જ્ઞાન વિનાશી છે, મૂળ સ્વાભાવિક જ્ઞાન સનાતન છે ! જ્ઞેય સામું આવતાં જ્ઞાન જ્ઞેયના આકારે થવા છતાં પોતાની શુદ્ધતા નથી ચૂકતું, કોઇ કાળે ય !
આત્મા તેમ જ પુદ્ગલ પણ દ્રવ્ય, ગુણ ને પર્યાય સહિત છે. આત્માના ગુણો અન્વય-સહચારી હોય ને પર્યાય પરિવર્તનશીલ હોય. વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય.
જ્ઞેયો જાણતાં રાગદ્વેષ થાય તો બંધન છે ને વીતરાગ રહ્યા તો પોતે મુક્ત જ છે!
દર્શન સામાન્ય ભાવે હોય ને જ્ઞાન વિશેષભાવે હોય, જેથી કરીને જ્ઞેય જુદાં જુદા દેખાય અને તેથી જ જ્ઞાન પર્યાય જ્ઞેયાકાર થાય પણ દ્રશ્યાકાર થતું નથી. આત્મા સ્વભાવથી આકાશ જેવો છે, લાઇટ જેવો છે. આ લાઇટને ડબ્બામાં બંધ કર્યું હોય તો ય એને કંઈ જ ચોંટતું નથી, એ લાઇટ જેવું આત્માનું દ્રવ્ય છે, પ્રકાશમાન કરવાની શક્તિ એ જ્ઞાન દર્શન છે, ગુણ છે, અને એ પ્રકાશમાં બધી ચીજ દેખાય તે જ્ઞેય કહેવાય.
ચેતનના ચેતન પર્યાય ને અચેતનનાં અચેતન પર્યાય હોય.
યથાર્થ આત્મા પ્રાપ્ત કર્યાં પછી જ આત્માનો આનંદ ઉત્પન્ન થાય. ગમ્મે તેવી સ્થિતિમાં ય નિરંતર પરમાનંદ રહે તેનું નામ મોક્ષ. બાહ્ય કોઇ પણ આલંબન વિનાનો સહજ ઉત્પન્ન થતો આનંદ એ આત્માનંદ. આનંદ એ આત્માનો અન્વય ગુણ છે. સિદ્ધગતિમાં ય સાથે રહેનારો ગુણ છે! આત્મા જાણ્યા બાદ આત્માનો શુદ્ધ આનંદ ઉત્પન્ન થાય છે જે ક્રમે ક્રમે વૃદ્ધિને પામતો અંતે સંપૂર્ણતાને પહોંચે છે.
જીવમાત્રમાં આત્માની અનંત શક્તિઓ છે, પણ તે આવરાયેલી છે. અહંકાર ને મમતા જાય એટલે એ શક્તિઓ પ્રગટ થાય ! ‘ભગવાન’ પાસે તો જ્ઞાનશક્તિ ને સ્થિરતાશક્તિ જ માગવા જેવી છે, પુદ્ગલ શક્તિ માગવા જેવી નથી ! આત્મશક્તિ એટલે આત્મવીર્ય. અહંકારથી આત્મવીર્ય આવરાય. આત્મવીર્ય ઘટતું ભાસે ત્યારે ‘હું અનંત શક્તિવાળો છું’ મોટેથી ૨૫-૫૦ વખત બોલવાથી આત્મવીર્ય પ્રગટ થઇ જાય છે! ‘મોક્ષે જતાં સુધી જ વચ્ચે આવતા વિઘ્નોની સામે પોતે અનંત શક્તિવાળો છે.’ એમ બોલવાની જરૂર, પછી મોક્ષમાં નહીં. જ્ઞાતાદ્રષ્ટા રહેવાથી તમામ વિઘ્નો નષ્ટ થાય છે અને આત્માની શક્તિ પ્રગટ થાય છે. વિનાશી વસ્તુની મૂર્છાથી આત્માની ચૈતન્યશક્તિ આવરાય છે.
છ યે તત્વો શુદ્ધ સ્વરૂપે અગુરુ-લઘુ સ્વભાવનાં છે. આત્મા ટંકોત્કીર્ણ છે તે અગુરુ-લઘુ સ્વભાવને લઇને છે.
ક્રોધ, માન, માયા, લોભ એ નથી આત્માના ગુણો નથી કે જડના ગુણો. એ અન્વય ગુણો નથી પણ આત્માની હાજરીથી ઉત્પન્ન થતા પુદ્ગલના ગુણો-વ્યતિરેક ગુણો છે. જેમ સૂર્યની હાજરીથી પથ્થરમાં ગરમીનો ગુણ ઉત્પન્ન થાય તેમ.
આત્મા અરૂપી છે. અરૂપીને રૂપી વળગ્યું એ ય અજાયબી છે ને ! ભ્રાંતિથી વળગેલું લાગે છે. હકીકતમાં તેમ નથી.
ટંકોત્કીર્ણ એટલે આત્મા ને પુદ્ગલનું મિક્ષ્ચર સ્વરુપ થયેલું છે, કમ્પાઉન્ડ નહીં! બે તત્વો સાથે છે છતાં એકમેકમાં એકાકાર ક્યારેય નથી થતાં તે તેના ટંકોત્કીર્ણ સ્વભાવને કારણે ! મિક્ષ્ચર સ્વરૂપે હોય, કમ્પાઉન્ડ સ્વરૂપે નહીં. તેલ ને પાણીને ગમે તે કરીએ છતાં ય બન્નેના પરમાણુઓ એકાકાર ક્યારેય ના થાય. બન્ને ભિન્નપણે જ રહે-એના જેવું આત્મા-અનાત્માનું કહેવાય ! છ યે તત્વો મૂળ સ્વરૂપે ટંકોત્કીર્ણ સ્વભાવના છે! ટંકોત્કીર્ણનો જેમ છે તેમ અર્થ તો જ્ઞાનીઓ જ કરી શકે ! વીતરાગોનો આ અજાયબ શબ્દ છે !
અવ્યાબાધ સ્વરૂપે એટલે આત્માનો એવો ગુણ છે કે જેથી કરીને એ ક્યારેય પણ કોઇ જીવને કિંચિત્ માત્ર દુઃખ ન કરી શકે ! તેમ જ પોતાને પણ ક્યારેય દુઃખ ના થાય !!! પોતાથી સામાને દુઃખ થાય છે તેવી સહેજ પણ શંકા પડે છે, તો તેનું પ્રતિક્રમણ ઘટે. દુઃખ, પીડા ‘માનેલા આત્મા’ને થાય છે, મૂળ આત્માને નહીં. મૂળ આત્મા અવ્યાબાધ સ્વરૂપી છે.
આત્મા અવ્યય છે, તેમ ભાજન પ્રમાણે સંકોચ વિકાસને પામે તેવો છે. આત્મા નિરંજન નિરાકાર છે. છતાં દેહાકારી છે, એને પોતાનો સ્વાભાવિક આકાર છે.
જ્યાં સુધી પોતાના નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ નથી થઇ ત્યાં સુધી જે દેહમાં પરમાત્મા પ્રગટ થયા છે એવા પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ને ભજવાથી પોતાનું પરમાત્માપણું પ્રગટ થાય.
આત્મા અમૂર્ત છે ને મૂર્તિની મહીં છે. જ્ઞાની કે જેમાં અમૂર્ત ભગવાન વ્યક્ત થયા છે તેમને મૂર્તામૂર્ત ભગવાન કહેવાય.
આત્મા પરમ જ્યોતિ સ્વરૂપ છે, આંતર-બાહ્ય બધી વસ્તુને જાણે, વસ્તુને વસ્તુરૂપે ને અવસ્થાને અવસ્થારૂપે જાણે. આત્મા સ્વ-પર પ્રકાશક એટલે પોતે પોતાને પ્રકાશે છે ને અન્ય તત્વોને પણ જાણે છે.
આત્માને સુગંધ-દુર્ગંધ સ્પર્શે નહીં. જેમ પ્રકાશને સુગંધ કે ખાડીની ગંધ સ્પર્શતી નથી તેમ !
છેલ્લા દેહથી આત્મા જ્યારે મોક્ષે જવા છૂટે છે ત્યારે એનો પ્રકાશ આખા બ્રહ્માંડમાં વ્યાપે છે. જ્ઞાનભાવે વ્યાપે છે એ અપેક્ષાએ સર્વવ્યાપક કહ્યો.
બધા જ આત્મા સ્વભાવે એક છે પણ અસ્તિત્વ દરેકનું સ્વતંત્ર છે. આત્મા સંસારની કોઇ પણ ચીજનો કર્તા નથી. માત્ર જ્ઞાનક્રિયા ને દર્શનક્રિયાનો કર્તા છે, બીજે કયાંય એની સક્રિયતા નથી. હા, આત્માની હાજરીથી બીજાં તત્વોમાં સક્રિયતા ઉત્પન્ન થઇ જાય છે.
જ્ઞાન + દર્શન એટલે ચૈતન્ય. અનંતજ્ઞાન, અનંતદર્શન આત્મામાં હોવાથી તેને ચૈતન્યઘન કહ્યો.
અનંત પ્રદેશી આત્માના પ્રદેશે પ્રદેશે જ્ઞાયક શક્તિ છે. જ્ઞેયને જ્ઞાતા માનવાથી આત્મ પ્રદેશો કર્મમલથી આવરાય છે. આત્મા અકર્તા છે. સંસારની ક્રિયાનો કર્તા આત્મા નથી. પોતાની સ્વાભાવિક જ્ઞાનક્રિયાનો, દર્શનક્રિયાનો કર્તા છે-એ સિવાય સક્રિયતા એની ક્યાંય નથી.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ એવાં મુખ્ય આઠ કર્મરૂપી આવરણોથી આત્મપ્રકાશ આવરાયો છે. આત્મજ્ઞાન થયા પછી એ આવરણો તૂટતાં જાય, ફલતઃ આનંદ પ્રગટ થતો જાય. જીવમાત્ર આવરણો સહિત હોય છે. જેને જેટલા પ્રદેશોનાં આવરણ ખૂલ્યાં તેટલો પ્રકાશ તેનો બહાર આવે.
‘‘પોતે પોતાની આખા બ્રહ્માંડને પ્રકાશવાની જે સ્વસંવેદન શક્તિ છે તેને કેવળજ્ઞાન કહેવાય.’’ - દાદા ભગવાન.
અજ્ઞાની દુઃખને વેદે.
સ્વરૂપજ્ઞાની-આત્માના અસ્પષ્ટ વેદનવાળા દુઃખના જ્ઞાતાદ્રષ્ટા રહેવાના પ્રયત્નમાં હોય. દુઃખ ભોગવે નહીં પણ બોજો લાગે તેમને, ને આત્માના સ્પષ્ટ વેદનવાળા ‘જ્ઞાની પુરુષ’ દુઃખને વેદે નહીં, જાણે.
ભોગવે છે કોણ ? અહંકાર, આત્મા નહીં.
આત્માના ચાર ઉપયોગ :
અશુદ્ધ, અશુભ, શુભ અને શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગીને મોક્ષ મળે. ‘પોતે શુદ્ધાત્મા છે’ એવું નિરંતર ભાન રહે, જગત આખું નિર્દોષ દેખાય, સહુમાં શુદ્ધાત્મા દેખાય, તે શુદ્ધ ઉપયોગ. મનમાં, વાણીમાં ને વર્તનમાં તન્મયાકાર પરિણામ ના હોય એનું નામ શુદ્ધ ઉપયોગ. જ્ઞાનીનો સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ હોય. જ્ઞાનીને ઉપયોગમાં ઉપયોગ રહે.
‘‘શુદ્ધ ઉપયોગ એ જ્ઞાન સ્વરૂપ કહેવાય ને ઉપયોગમાં ઉપયોગ એ વિજ્ઞાન સ્વરૂપ કહેવાય.’’ - દાદા ભગવાન.
કેવળજ્ઞાન એટલે કેવળ આત્મપ્રવર્તન. ‘એબ્સોલ્યુટ’ જ્ઞાન એટલે જ કેવળજ્ઞાન. અને એ એકલું જ આનંદ આપે.